મુલાકાતી નંબર: 430,078

Ebook
બાળકો માતાપિતા પાસેથી શું શીખશે?
બાળકો માતાપિતા પાસેથી શું શીખશે? તમે ઘણી વાર વાંચ્યું હશે કે બાળકો માતાપિતાની સલાહ માનતા નથી પણ તેમના વર્તનને અનુસરે છે. આજે આપણે એજ વિષય પર ચર્ચા કરીશું કે માતાપિતાનું કયું વર્તન અથવા કઈ આદતો બાળકોની મનોસ્થિતિ પર વધુ અસર કરે છે. અમારા બાળકોના ડોક્ટર પાસે ઘણીવાર માતાપિતા તેમના બાળકોને લઈને આવે અને તેમના વિશે ફરિયાદો કરે ત્યારે અમારા રૂમમાં અમારી સામે જ બાળકોને સલાહ આપવાનું શરુ કરી દેતા હોય છે. જો બેટા સાંભળ, ડોક્ટર સાહેબ કહે છે કે બહારનું બહુ નહીં ખાવાનું, ઘરનું બનાવેલું જ ખાવાનું, રોજ બે વખત બ્રશ કરવાનું.. વગેરે. માતાપિતાની આ સલાહની ખરેખર તો બાળક પર કોઈ જ અસર પડતી નથી. ખરેખર તો બાળક આ બધી સારી આદતો પોતાના જીવનમાં ઉતારે તે માટે માતાપિતાએ પોતે પહેલા પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. બાળક તે જ અનુસરસે જે માતાપિતા કરશે. માતાપિતા બે વખત બ્રશ નહીં કરતા હોય તો ગમે તેટલી વખત તેને કહેવા છતાં તે બે વખત બ્રશ નહીં જ કરે. આ ઉપરાંત અન્ય ઘણી વસ્તુઓ છે કે જે બાળક નાનપણથી માતાપિતાને જુએ છે અને પછી પોતે પણ તે પ્રમાણે કરવા પ્રેરાય છે. વડીલો પ્રત્યેના વર્તન માટે જોઈએ. બાળકની પરીક્ષા આવે તે વખતે અથવા ઘરે કોઈ વડીલ આવે ત્યારે માતાપિતાએ બાળકને કહેવું પડે છે કે બેટા માસી આવ્યા કે કાકા આવ્યા, તું તેમને પગે લાગ. બાળક પોતાની અનિચ્છાએ પણ મમ્મી-પપ્પાએ કહ્યું એટલે પગે લાગશે પણ જો તેણે નાનપણથી જ મમ્મી-પપ્પાને ઘરે વડીલો આવે ત્યારે પગે લાગતા જોયા હોય તો તેને કહેવું પણ નાં પડે અને તે પગે લાગે. બાળકની ખાવાપીવાની ટેવો તો માતાપિતાની ટેવો પર જ આધારિત હોય છે. અત્યારે સાત વર્ષના છોકરાને ઘણી રેસ્ટોરાંના નામ અને ત્યાં શું સારું મળે છે તે કંઠસ્થ હોય છે. આવુકેવી રીતે બને? માતાપિતા સાથે વારંવાર તે પણ જતો હોય તો જ તે આવું શીખશે. ટેલીફોન પર વાત કરવાની અને બોલવાની પદ્ધતિ પર પણ તેઓ માતાપિતાને અનુસરે છે. શાંતિથી સામે વાળાને સાંભળવું કે બુમો પાડીને વાત કરવાની પદ્ધતિમાં બિલકુલ તેઓ માતાપિતાને અનુસરે છે. સામાજિક સંબંધો કેવી રીતે જાળવવા અને ઘરે આવતા મહેમાનો સાથે કેવું વર્તન કરવું તે પણ તેઓ માતાપિતાને જોઇને જ શીખતા હોય છે. ઘર સાથે સંકળાયેલા માણસો જેમકે દુધવાળા, ઈસ્ત્રીવાળા, છાપાવાળા કે ડ્રાઈવર સાથેનું માતાપિતાનું વર્તન તેઓ નાનપણથી જોતા હોય છે. આ માણસોએ રજા પાડી તો માતાપિતા તેમના પર ગુસ્સો કરે છે કે પહેલા તેઓને સાંભળે છે તેની નોંધ પણ બાળકો લેતા હોય છે. આમ બાળકોને જે શીખવવું હોય તે માતાપિતાએ તેમને કહેવાનું નથી હોતું પણ કરવાનું હોય છે. કોઈ પર્સનાલિટી ડેવલોપમેન્ટ ક્લાસ થોડા દિવસોમાં આ કામ નાં કરી શકે તેને માટે બાળક જન્મે ત્યારથી તે અઢાર વર્ષનું થાય તેટલો લાંબો સમય માતાપિતાને મળ્યો હોય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો