મુલાકાતી નંબર: 430,107

Ebook
એ હતું ૨૨૦૦ દિવસનું ‘લોક ડાઉન’ – અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય
  સાંભળીને રુવાડા ખડા થઈ ગયા ને.... સત્ય હકીકત છે. આપણને ૨૦ દિવસનું ‘લોકડાઉન’ મળ્યું છે. એમાં માંડ ૨૦૦ કલાક પણ પુરા નથી થયા અને આપણે લોકો કંટાળી ગયા છે. અહીં તો જગતના સૌથી મોટા લોકડાઉનની વાત છે જે બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન ૨૨૦૦ દિવસ અર્થાત ૫૨,૦૦૦ કલાક જેટલું ચાલ્યું હતું. એક સપ્ટેમ્બર ૧૯૩૯ દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એની સાથે જગતનો લાંબામાં લાંબો લોકડાઉન ચાલુ થયો.  શરૂઆતમાં જર્મનો (નાઝી – હિટલર) એ પોલેન્ડ પર હુમલા શરૂ કર્યા. બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડને સપોર્ટ આપ્યો. બ્રિટન, ફ્રાંસ અને જર્મનીના આશરે ૫ કરોડ લોકો આ યુધ્ધમાં મૃત્યુ પામ્યા હતા. પણ અહીં આપણે યુદ્ધની વાત નથી કરવી પણ લોકડાઉનની વાત પર આવીએ. છ વર્ષ(૨૨૦૦ દિવસ) સુધી આ ત્રણેય દેશોમાં લોકોનું જીવન કેવું હતું તેની સરખામણી આપણા અત્યારના લોકડાઉન સાથે કરીએ તો આપણે કેટલા સુખી છીએ અને લોકડાઉન છતાં કેટલી ઓછી તકલીફો આપણને છે તે સ્વીકારી શકીશું. આપણા દેશની આઝાદી પછી જન્મેલા છેલ્લા ૭૦ વર્ષની ત્રણ પેઢીઓએ ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ માં થયેલા પાકિસ્તાન સામેના યુધ્ધો જોયા. આ યુધ્ધોનો સમયગાળો ૧૫ દિવસથી ત્રણ માસનો હતો. દેશના ચોક્કસ વિસ્તાર પર જ આ યુધ્ધોની વધારે અસર હતી. દેશના ૯૦% ભાગમાં જનજીવન સામાન્ય હતું. ભૌતિક સુખસગવડ સાથે ઉછરેલી આ ત્રણ પેઢીઓને દુઃખ ખરેખર કેવું હોય તેની ખબર જ નથી. જ્યારે ૧/૦૯/૧૯૩૯ થી ૦૨/૦૯/૧૯૪૫ સુધીના બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન લોકડાઉન સમયની સામાજિક, કૌટુંબિક અને આર્થિક તકલીફો બ્રિટન અને જર્મનીએ જે વેઠી તેની સરખામણીમાં અત્યારે એક ટકો પણ મુશ્કેલીઓ અત્યારે આપણને નથી. આ ૨૨૦૦ દિવસના (છ વર્ષના) ગાળા દરમ્યાનનું બ્રિટન અને જર્મનીનું લોકડાઉન સમયનું લોકજીવન જોઈએ.
  • સાંજ પછી અંધારપટ : સાંજના છ પછી આ દેશોના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ જતો. લોકોને હવાઈ હુમલાનો સતત ડર રહેતો. દુશ્મન દેશો દ્વારા કોઈ ગેસ હુમલો થશે અને શ્વાસની તકલીફોથી લાખો લોકોના મૃત્યુ થઈ શકે છે તેવું સરકારે જ જાહેર કર્યું હતું આથી સાંજના છ પછી ઘરમાં જ લોકો ગેસ માસ્ક પહેરીને બેસી રહેતા. લાઈટ કે ફાનસથી ઘરમાં અજવાળું કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ હતો.
  • ગેસ – હવાઈ હુમલાનો ડર : ગમે તે સમયે સાયરન વાગે એટલે લોકોએ ગામમાં નક્કી કરેલા સલામત સ્થળો જેમકે શાળા, મ્યુઝીયમ, ચર્ચ, ટ્યુબ સ્ટેશનો કે બંકરોમાં દોડીને જતા રહેવું પડતું અને કલાકો કે દિવસો સુધી સુધી છુપાઈ રહેવું પડતું. ગેસ હુમલો કે હવાઈ હુમલો થાય તો પણ આ સ્થળો સલામત સ્થળો હતા. ત્યાં ખાવાપીવાની વ્યવસ્થાનું નક્કી ના હોય.
  • picture 2
  • માહિતીનું આદાનપ્રદાન : આંશિક પત્રવ્યવહાર, રેડિઓ અને અઠવાડિયા જુના છાપા દ્વારા માહિતીનું આદાનપ્રદાન થતું. લોકડાઉન છતાં અત્યારના જેવા ટીવી, સોશિયલ મીડિયા અને ખુબ સરળ રીતે મોબાઈલ ફોન દ્વારા થતા સામિજિક સંપર્કો તે સમયે ન હતા. આ ત્રણેય વિના એક દિવસ કેવો જાય તેનો અનુભવ આપણે અત્યારે કરવા જેવો છે તો ખબર પડે કે તે જ રીતે ૨૨૦૦ દિવસ કેમના જાય?
  • પુરુષ વર્ગની ફરજો : ૧૭ થી ૬૦ વર્ષની વયના પુરુષોએ ફરજિયાતપણે દેશના સૈન્યમાં સેવા આપવા જવું પડતું. ઘરના મુખ્ય પુરુષ દેશ વતી લડવા જાય પછી ક્યાં છે? ક્યારે પાછા આવશે? જીવે છે કે મૃત્યુ પામ્યા છે? તે પ્રશ્નોના કોઈ જ જવાબો કોઈની પાસે નહતા. અમુક વિસ્તારોમાં રહેતા લોકો અને લશ્કરની ચોક્કસ રેન્કના અધિકારીઓના ઘરને જ તેમના પુરુષવર્ગ સાથે પત્રવ્યહાર દ્વારા સમ્પર્ક થતો.
  • રેશનની વસ્તુઓની ઉપલબ્ધતા : રેશનની વસ્તુઓની સતત તંગી રહેતી. મહિલાઓએ પોતાના ગામથી થોડા માઈલ દુર પગપાળા જઈ ત્યાંની રાહત છાવણીઓ કે ઉભી કરેલી હોસ્પિટલોમાં અમુક કલાકો સેવા આપવી પડતી. તેમણે આપેલી સેવાના કલાકો પ્રમાણે ફળ, ઈંડા કે અનાજ મળતા. તે લાવીને ઘરે બાળકોને ભોજન આપી શકતી. શાકભાજી મોટાભાગે લોકો પોતાના ઘર કે મહોલ્લામાં જ ઉગાડી લેતા. આ રાહત છાવણીમાં જવાથી રેશન ઉપરાંત બીજા ફાયદા એ પણ રહેતા કે દેશ સેવા કરી તેનો આત્મસંતોષ રહેતો અને કદાચ તેમના પતિ કે પુરુષવર્ગના કોઈ સમાચાર કોઈના દ્વારા મળી જાય.
  • ભણતર : માત્ર ૧૦% જેટલા વિધાર્થીઓ જ આ સમય ગાળા દરમ્યાન ભણી શક્યા. મોટાભાગની શાળાઓ યુધ્ધ છાવણી અને હોસ્પિટલમાં ફેરવાઈ ગઈ હતી. અમુક શાળાઓમાં યુધ્ધનો શસ્ત્ર સરંજામ બનતો અને રખાતો. અમુક શાળાઓમાં મહિનાના બે-ત્રણ દિવસ વિધાર્થીઓને બોલાવી આખા મહિનાનું હોમવર્ક આપી દેવામાં આવતું. જે શાળામાં બેઝમેન્ટ હોય ત્યાં જ વર્ગો ચાલતા.
  • EVACUEES FROM LONDON IN PEMBROKESHIRE, WALES, 1940 (D 989) Girls from St George's Church of England School in Battersea, London, take part in an open-air sewing class, by the edge of a river or lake, whilst evacuated to Pembrokeshire, Wales in 1940. Copyright: © IWM. Original Source: http://www.iwm.org.uk/collections/item/object/205197779

    EVACUEES FROM LONDON IN PEMBROKESHIRE, WALES, 1940 (D 989) Girls from St George's Church of England School in Battersea, London, take part in an open-air sewing class, by the edge of a river or lake, whilst evacuated to Pembrokeshire.

  • ટીનએઈજ દીકરી : સૌથી દુઃખદાયક પરિસ્થિતિ ટીનએઈજ દીકરીઓની હતી. ઘણી ટીનએઈજ દીકરીઓને તેની સગી જનેતા એ જ ચહેરા પર દામ દઈ, વાળ કાપી કદરૂપી બનાવી દીધી. તેને કેટલાય દિવસ સુધી ન્હાવા ના દેવાય. તેના શરીરમાંથી એટલી દુર્ગંધ આવવી જોઈએ કે કોઈ તેની નજીક નાં જઈ શકે. આવું બધું માતાએ એટલા માટે કરવું પડતું કે દુશ્મન દેશોના સૈનિકો તેમની દીકરીઓને ઉઠાવી જશે તેવો ભય સતત માતાને રહેતો. આ સૈનિકોથી બચાવવા ટીનએઈજ દીકરીઓ પર આવો અત્યાચાર સગી જનેતા એ જ કરવો પડતો.
  • તૂટેલું કુટુંબજીવન : લગભગ ૪૦ થી ૫૦ % કુટુંબ તૂટી ગયા હતા. ઘરના એક-બે વ્યક્તિનું યુધ્ધમાં કે કોઈ રોગથી મૃત્યુ થયું હોય અથવા લાપત્તા હોય તેવી પરિસ્થિતિ ઘેર ઘેર હતી. બહુ ઓછા બાળકોએ માતાપિતા એમ બંનેનો પ્રેમ મેળવ્યો. અત્યારે જે આપણે જોઈએ છીએ કે સંયુક્ત કુટુંબમાં દાદા-દાદી હોય. કાકા, મામા, ફોઈ કે માસીના સગપણ હોય તેવો અનુભવ તો આ બાળકોએ કર્યો જ ન હતો. પોતાને કોઈ કાકા કે મામા છે અને તેઓ ક્યા શહેરમાં રહે છે તેમના નામ અને ફોટાથી જોવા મળ્યા હોય.
  • ટીનએઈજ બાળકોની પ્રવૃત્તિ : આ વખતના ગાળામાં ટીન એઈજ બાળકો કોમિક્સ ખુબ વાંચતા. ચાર્લી ચેપ્લિનના પિકચરો પણ ઘણા સિનેમાઘરોમાં દિવસ દરમ્યાન ચાલતા. બાળકોનો ઘરમાં જ ફળો અને શાકભાજીના ખેતીકામ તેમજ સીવણકામમાં સમય જતો. મ્યુઝિક, ચિત્રકામ અને બેડમિન્ટનનો લાભ સુખી પરિવારના બાળકો લઈ શકતા. ઘણા બ્રિટિશ બાળકો ક્રિકેટ પણ રમતા. ૧૩ થી ૧૭ વર્ષના છોકરા અને છોકરીઓએ દેશસેવાના કોઈ પણ કામમાં પોતાનું નામ રજીસ્ટર કરાવવું પડતું. અનાજ વિતરણ, જુના કપડા અને સૂઝના એક્સચેન્જ પ્રોગ્રામના કામો ટીનએઈજ બાળકો જ કરતા. નવા કપડા અને સૂઝનું ઉત્પાદન લગભગ બંધ જ થઇ ગયું હતું.
  • a-US-soldier-helps-children-with-their-skipping
  • maxresdefault
  • વાંચન લેખન અને લાયબ્રેરીઓ : બંને દેશોમાં એક સામાન્ય વસ્તુ જોવા મળી તે હતી - લાયબ્રેરીઓ. બાળકો ભણી શક્યા નહીં પણ ફુરસદના સમયમાં લાયબ્રેરીનો ખુબ ઉપયોગ કરતા. દેશના અંતરિયાળ ગામોની લાયબ્રેરીમાં અઠવાડિયા જુના છાપા આવતા તેની આતુરતા પૂર્વક રાહ જોવાતી. એ વખતે ઘણા બાળકોએ લખેલી ડાયરીઓ અને પુસ્તકો પછીથી બેસ્ટ સેલર થયા. ઘણી લાયબ્રેરીઓમાંના પુસ્તકો કોઈ એક ઓરડામાં અથવા બેઝમેન્ટમાં ખસેડી દેવામાં આવ્યા હતા. બાકીના ભાગોનો ઉપયોગ હોસ્પિટલ તરીકે અથવા યુધ્ધમાં વપરાતા સાધનોની મરામત માટે થતો. દિવસમાં ચાર વખત રેડિયો પર આવતા સમાચારો સાંભળવા લોકો ટોળે વળતા. આ સમાચારો મોટેભાગે યુધ્ધને અનુલક્ષીને જ રહેતા. પોતાના દેશની તરફેણમાં આવતા સમાચાર સાંભળી લોકો શેરીમાં નૃત્ય કરવા આવી જતા.
  • નવા માતાપિતા : યુધ્ધ પૂરું થયું પછી બન્ને દેશોના ૩૦% લોકો પાસે રહેવાલાયક ઘરો રહ્યા ન હતા. યુધ્ધ પૂરું થયાના દિવસો સુધી લાવારીસ બાળકો અને વૃધ્ધો ભૂખ્યા અને તરસ્યા હોય તેવી સ્થિતિમાં દેશના અંતરિયાળ વિસ્તારોમાંથી મળ્યા. અનાથ બાળકોને હવે નવા માતાપિતા પાસે રહેવાનું આવ્યું. ભાઈ-બહેનો છુટા પડી ગયા. ભાઈને ક્યાં કોને દત્તક આપવામાં આવ્યો છે તે બહેનને ખબર ના હોય. છ વર્ષનો કપરો સમય સાથે કાઢી અચાનક છુટા પડી ક્યાં કોની પાસે ભાઈ કે બહેન છે તે પણ ખબર ના પડે એ બાળકોની મનોસ્થિતિ કેવી હશે? બાર વર્ષના એક બાળકને કહેવામાં આવે કે, ‘કાલથી આ દંપત્તિ તારા માતાપિતા છે અને બાકીનું જીવન હવે તેમની સાથે તારે પસાર કરવાનું છે.’ તે બાળકને કેવું લાગતું હશે? ઘણી સંસ્થાઓએ છુટા પડી ગયેલા બાળકોને પછીથી મેળવી આપ્યા. આ મિલનનો સિલસિલો છેક ૨૦ મી સદી પૂરી થઈ ત્યાં સુધી ચાલ્યો. પછીથી કોમ્પ્યુટર યુગ આવી જતા ઈન્ટરનેટના માધ્યમથી ઘણા ભાઈ બહેનો ૫૦ વર્ષ પછી મળ્યા.
  • યુધ્ધ પછીની સ્થિતિ : બીજું વિશ્વયુધ્ધ પૂરું થયું તે પછી પણ જર્મની અને બ્રિટનમાં લોકોને માનસિક રીતે યુધ્ધનો ભય છોડી સામાન્ય જીવન પદ્ધતિમાં આવતા દસ વર્ષ લાગ્યા. તેઓ સાંજના છ વાગ્યા પછી અંધારપટમાં જીવવા ટેવાઈ ગયા હતા. યુધ્ધ પૂરું થયાના વર્ષો સુધી સાંજ પછી તેઓ બહાર નીકળવાનું ટાળતા. શારીરિક અને માનસિક રીતે તેઓ કોઈ જ પ્રોડક્ટીવ કામ સાંજ પછી કરી શકતા ન હતા. આ દેશોમાં અનાજ અને ફ્યુઅલ નિયમિત રીતે મળતું થતા ૧૯૫૪ – ૧૯૫૫નું વર્ષ આવી ગયું હતું.
  • જીવન આવું પણ હોઈ શકે? : ૧૯૪૫ પછીની પહેલી ક્રિસમસ આવી ત્યારે લંડનની શેરીઓમાં ઘણા લોકો ડાન્સ કરવા ઉતરી આવ્યા ત્યારે સંગીત, ડાન્સ અને સુંદર ભોજન મળવાથી ઘણા બાળકોને કોઈ નવા ગ્રહ પર આવી ગયા હોય તેવી અનુભૂતિ થઈ. માનવજીવનમાં મોજશોખની આવી વસ્તુઓ પણ હોય છે તેવું તે લોકો માની પણ નહતા શકતા.
  • જીવનનો સર્વશ્રેષ્ઠ સમય : સતત છ વર્ષ સુધી સાંજ પછી અંધારામાં રહીને, ફોન વિના સમય પસાર કરીને, ખાવાના ઠેકાણા વિનાના દિવસો કાઢીને, પરિવારજનોને ગુમાવ્યાનું સ્વીકારીને, તેમજ ભણ્યા વિના પણ આગળ વધ્યા જેવી પરિસ્થિતિ છતાં આ બાળકો મોટા થયા ત્યારે તેમનો ૧૯૩૯ થી ૧૯૪૫ ના સમયને યાદ કરી કહેતા હતા કે, ‘તે સમય અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય હતો.’
  • (ઘરમાં જ 'લોકડાઉન' થઈને રહેવું અઘરું છે, કોઈને ના ગમે પણ જ્યારે પોતાના માટે, સમાજ માટે અને દેશ માટે એ જરુરી હોય તો ઈશ્વર પર શ્રધ્ધા, હિંમત અને ધીરજ રાખી એ સમય સુંદર રીતે પસાર કરવો જ રહ્યો)
 

8 ટિપ્પણીઓ

  1. લેખકDinesh

    on April 5, 2020 at 2:04 pm - Reply

    Superb

  2. લેખકપ્રકાશભાઈ ડાંગર

    on April 22, 2020 at 2:39 am - Reply

    આપ ખૂબ સારા લેખક છો
    અને આપ ના લેખો દવરા સમાજ ને ઉપયોગી થવા બદલ આપનો ખૂબ આભાર માનૂ છૂ

    • લેખકDr. Ashish Chokshi

      on April 23, 2020 at 3:48 pm - Reply

      Dr. Ashish Chokshi

      આભાર પ્રકાશભાઈ, આભાર પરમકૃપાળુ પરમેશ્વરનો

  3. લેખકઅશોક ખાંટ - ચિત્રકાર

    on April 24, 2020 at 8:06 am - Reply

    ખૂબ જ માહિતીસભર લેખ.. ઇતિહાસની ધરબાઈ ગયેલી ઘટનાઓ પ્રકાશમાં લાવી સત્ય તરફ પ્રકાશ ફેંકવાનું ઉત્તમ કાર્ય.

    • લેખકDr. Ashish Chokshi

      on April 25, 2020 at 2:58 pm - Reply

      Dr. Ashish Chokshi

      આભાર અશોકભાઈ, ઇતિહાસની ઘટના વાંચી લોકોની સહનશક્તિ થોડી વધે તેવો નાનો પ્રયત્ન.

Leave a Reply to Dr. Ashish Chokshi જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો