મુલાકાતી નંબર: 430,114

Ebook
બાળકો વધુ ચંચળ કેમ હોય છે?
બાળકો વધુ ચંચળ કેમ છે?   મોટાભાગના માતાપિતા અત્યારે તેમના બાળકોને બતાવવા આવે તો એક ફરિયાદ સામાન્ય હોય છે કે તેમના બાળકો વધુ તોફાની અર્થાત ચંચળ છે. તેઓ એક જગ્યાએ બેસી જ શકતા નથી. તેમને સતત ઘરની વસ્તુઓ અડવાની ટેવ છે. તેઓ થાકતા પણ નહીં હોય? ક્યાંય જઈએ તો અમારે તેમને કેટલી બધી સૂચનાઓ આપવી પડે. છતાં પણ તેઓ પોતાનું ધાર્યું જ કરે, અમે તો આવા ન હતા. અત્યારના બાળકો માટે સતત આ પ્રકારની ફરિયાદો સાંભળવા મળે છે. આવું થવામાં બાળકોનો કોઈ જ વાંક નથી. બદલાયેલી જીવનશૈલી અને બદલાયેલી સામાજિક વ્યવસ્થાને કારણભૂત કહી શકાય.   આજથી બે પેઢી અગાઉનું અર્થાત આપણા દાદા-દાદીના સમયથી વિચારીએ તો તે વખતે મોટાભાગે સંયુક્ત કુટુંબપ્રથા જ હતી. ૩૦ થી ૪૦ સભ્યોનું કુટુંબ આનંદપ્રમોદથી સાથે જ રહેતું હતું. કૌટુંબિક પ્રેમ અને હુંફ અલગ અલગ બુદ્ધિપ્રતિભા ધરાવતા બાળકોને પણ એકસરખી મળતી. નબળા બાળકને પણ ભણવા સિવાયના અન્ય ક્ષેત્રમાં આગળ વધવા માટે તક રહેતી. બાળકો પર ભણવાનું આટલું દબાણ ન હતું. મોટા ભાગના બાળકોને કાકા, ફોઈ, મામા અને માસી એમ ચારેય સંબંધોનો પ્રેમ મળતો. અત્યારના બાળકને આ ચારમાંથી બે સંબંધ હોય તો પણ બાળક નસીબદાર ગણાય. ઘરના કામો સાથે સાથે કરતા કરતા જ બાળકો મોટા થતા. અત્યારે ભૌતિક સુખ વધ્યું છે સાથે સાથે બાળક એકલું પડતું ગયું છે. બાળકો નાના હોય ત્યારથી જ તેમને નાના મોટા ઘરના કામોમાં વ્યસ્ત રાખવા જોઈએ. ઘરના કામો કરતા કરતા પણ બાળકોનો માનસિક અને સામજિક વિકાસ થતો હોય છે. તુવેર ફોલવી, અનાજ સાફ કરવું, ફાટેલા કપડા સાંધવા, વાસણો ચઢાવવા અને ઘરમાં જ નાસ્તા બનાવવા જેવા કામોથી બાળકનું મગજ અને હદય પણ ઘર અને ઘરની વ્યક્તિઓ સાથે જોડાયેલું રહેતું. તેની શક્તિ ઘરના જ રચનાત્મક કામોમાં વપરાતી. અત્યારે ઘણી બધી વસ્તુ બહાર તૈયાર મળે, બાળકોના નાસ્તા પણ મોટે ભાગે બહારથી તૈયાર આવે. આ નાસ્તામાં મીઠા અને ખાંડનું પ્રમાણ ઘણું બધું હોય છે. આ નાસ્તા પણ બાળકોમાં ચંચળવૃત્તિ, ઉગ્રતા અને બેધ્યાનપણું જેવા દુર્ગુણોમાં વધારો કરે છે. એકલું પડેલું બાળક મોબાઈલ અને સોસિયલ સાઈટનો સહારો લે છે. તેમાં માનવીય સંવેદના અને પ્રેમનો અભાવ હોય છે. તેની વણવપરાયેલ શક્તિને લીધે લેખની શરૂઆતમાં જોયા તે લક્ષણો બાળકોમાં જોવા મળે છે.   બાળકોને ઘરના કામો શીખવાડી તેમના મગજને વિકસવાની એક સુંદર દિશા બતાવી શકાય. ભાઈ-બહેનોથી ભરેલું કુટુંબ ભલે નાનું થતું જાય પણ દરેક માતાપિતાએ ઓછામાં ઓછા પાંચ મિત્રો રાખવા જોઈએ કે જેમના ઘરે તેઓ અને તેમના બાળકો દબાણ વિના અવરજવર કરી શકે. બાળકના મગજનો સૌથી વધુ વિકાસ એક થી પાંચ વર્ષ દરમ્યાન જ થતો હોય છે. આ સમયે તેમને ઘરે બનાવેલ પ્રોટીનયુક્ત નાસ્તાની જ ટેવ પાડવી જોઈએ. પાંચ થી દસ વર્ષ વચ્ચે તેને ખુલ્લા આકાશ નીચે રમાતી રમતો રમવા પ્રોત્સાહન આપવું જોઈએ. આ બધા સાથે માતા પિતાએ પણ સમય સાથે સાનિધ્ય આપવું જોઈએ. આમ બાળકમાં ચંચળવૃત્તિને ઓછી કરવા કરતા તેનામાં રહેલી શક્તિને યોગ્ય દિશામાં વાળવાનો પ્રયત્ન તેમની ચંચળતા દુર કરશે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો