મુલાકાતી નંબર: 430,117

Ebook
બહારના દૂધ અને શીશી દવારા દુધની આડઅસરો

બોટલથી દૂધ આપવાનું ચાલુ કેમ થાય છે?

  • બોટલથી દૂધ આપવાથી બાળકને સંતોષ થાય તેમ મનાય છે.
  • બોટલથી દૂધ આપવાથી બાળકનું પેટ વ્યવસ્થિત ભરાશે, તે ભૂખ્યું નહીં રહે અને તે સારું સુઈ શકશે તેવું મનાય છે.
  • માતાને સર્વિસ ચાલુ થાય ત્યારે બાળકને રાખનાર દાદી, ઘરની કોઈ વ્યક્તિ અથવા આયાબેનને દૂધ આપવામાં બોટલથી વધારે અનુકુળતા રહેશે એવું મનાય છે.
  • બાળકને ઊંઘમાં દૂધ કેવી રીતે આપવું? તેવું વિચારીને ઘણા માતાપિતા શીશીથી દૂધ આપવાનું શરૂ કરે છે. પણ જો બાળકને ટેવ પાડો તો બાળકની આંખો બંધ હોય અને તે ઊંઘમાં હોય તો પણ તે વાડકી અને ચમચીથી દૂધ પીતા શીખી જાય છે.
  • માતાને દૂધ ઓછુ આવતું હતું એટલે બોટલથી દૂધ આપવાનું ચાલુ કરવું પડ્યું. ઉપરાંત બાળક ૩ થી ૪ માસનું થાય એટલે ફક્ત ધાવણથી તેને પૂરું ના થાય એટલે બોટલ આપવી જ પડે તેવી ખોટી માન્યતા છે.
  • ઘરમાં કોઈ સારો-ખરાબ પ્રસંગ આવી ગયો એટલે બોટલથી દૂધ આપવાનું ચાલુ કરવું પડ્યું.
  • અમારા પહેલા બાળકને અમે બોટલ આપી હતી, અમારી પડોશમાં પણ એક બાળકને શીશીથી દૂધ આપતા હતા તેઓને કોઈ તકલીફ થઇ ન હતી આથી શીશીથી દૂધ આપવામાં કોઈ વાંધો નહીં આવે તેવું ઘણા માતા-પિતા માનતા હોય છે.
  • અમે ફક્ત દિવસમાં એક કે બે જ વખત બોટલ આપવાના છીએ, અથવા ફક્ત રાત્રે જ બોટલ આપીશું જેથી બાળક સારું ઊંઘી શકે તેવી ખોટી માન્યતા.
  • અમે અમારા બાળકને ફક્ત આંઠ કે નવ માસ સુધી જ શીશીથી દૂધ આપીશું પછી તરત છોડી જ દઈશું તેવી માતા-પિતાની વિચારધારા.
  • અમે શીશી અને નીપલ સારી ગુણવત્તાવાળી વાપરીશું અને સમયઅંતરે તેને બદલતા રહીશું, એટલે બાળકને ચેપ લાગવાનો ભય નહીં રહે. એવા ખોટા ખ્યાલ સાથે ઘણા લોકો બોટલ ચાલુ કરે છે.
  • અમે ફક્ત મુસાફરી કરીએ અથવા કોઈ મિત્રને ત્યાં જઈએ ત્યારે જ શીશીથી દૂધ આપીએ છીએ. ઉપરના બધાજ કારણો ખોટા છે અને એક બહાના છે. તબીબી દ્રષ્ટીએ શીશીથી દૂધ ક્યારેય ના આપી શકાય.

બોટલથી દૂધ આપવાના ગેરફાયદા

  • શીશી એટલે અનેક જીવાણુઓનું સંગ્રહસ્થાન.
  • શીશી આપણા ઘરમાં જ પાણીમાં ઉકાળીને સાફ કરવાની પધ્ધતિથી ક્યારેય તે ૧૦૦% જંતુમુક્ત થતી નથી. બોટલની ટોટી(Nipple)ના બારીક કાણામાં દુધના કણો રહી જાય છે જેમાં જંતુનો વિકાસ થાય છે. તેમાં ક્યારેક ફૂગ પણ લાગે છે અને બાળકને વારંવાર ચેપ લાગ્યા કરે છે. ૧૦૦% શીશી જંતુમુક્ત કરવા માટે હોસ્પિટલમાં autoclav હોય છે તેનાં જેવું બોટલ સ્ટરીલાયઝર વસાવવું પડે જે કિંમતમાં પણ ઘણું મોંઘુ હોય છે.
  • શીશીથી દૂધ લેનાર બાળકને શીશીથી દૂધ નથી પીતું તે બાળક કરતા ઝાડા અને ઉધરસ થવાની સંભાવના ૪ થી પ ગણી વધુ રહે છે.
  • ઘણા બાળકો શીશીમાં વધેલું દૂધ ૨ કે ૩ કલાક પછી પીવે છે તેમ બાળકની બીમાર પડવાની સંભાવના વધે છે.
  • બાળખરજવું ( Infantile eczema ) નામના ચામડીના રોગનું વધુ પ્રમાણ શીશીથી દૂધ પીધેલા બાળકોમાં વધુ જોવા મળે છે.
  • દિવસમાં ૨ થી ૩ વખત જ બોટલ અને બાકીની વખત ધાવણ લેનાર બાળકોમાં ધીરે ધીરે ધાવણનો જથ્થો ઘટતો જાય છે. શીશીથી દૂધ પીતા બાળકને શીશીની નીપલ ચૂસવામાં સરળતા રહે છે. માતાનાં સ્તનની નીપલ ચૂસવામાં તેણે મહેનત કરવી પડતી હોય છે આથી ધીરે ધીરે તે બોટલથી દૂધ પીવાનું વધુ પસંદ કરે છે અને સ્તન પર વળગાડતા તે ચુસવાનું ટાળે છે( Nipple confusion ). માતાનાં દુધનો જથ્થો બાળક નીપલ ચૂસે તો જ વધુ બને છે. શીશીથી દૂધ પીનાર બાળકો માતાના સ્તનની નીપલ ઓછી ચૂસે છે આથી તેમનામાં ધાવણનો જથ્થો ઓછો બને છે. શીશીથી દૂધ પીનાર બાળકનું ધાવણ વહેલું બંધ થવાને કારણે લાંબો સમય આપેલા ધાવણના ફાયદાથી વંચિત રહે છે.
  • અત્યારની ખુબ સારી ગુણવત્તાવાળી શીશી બજારમાં મળે છે. જેમાં બાળકે બિલકુલ ચૂસવું કે ખેચવું પડતું નથી. આ નીપલ બાળકના બે તાળવા વચ્ચે દબાય અને દબાણથી જ દુધની ધાર બાળકના મોમાં બિલકુલ મહેનત વિના આવી જાય છે. આથી બાળક ધીરે ધીરે માતાની નીપલ ચૂસવાની અને ખેચવાની પધ્ધતિ ભૂલતું જાય છે.
  • શીશીથી દૂધ પીનાર બાળકનું શરૂઆતમાં વજન વધુ વધશે પણ બોટલથી દૂધ પીનાર બાળકોમાં લાંબા ગાળે વિવિધ બીમારીઓનું વધુ પ્રમાણ અને જાતે નહીં ખાતા શીખવાને લીધે વજન વધતું નથી.
  • ઝાડા, ઉલટી ઉપરાંત ચામડીના રોગો, ન્યુમોનિયા, કાનમાં રસી, મગજનો તાવ અને હોસ્પિટલમાં દાખલ થવું વગેરેનું પ્રમાણ બોટલથી દૂધ પીનાર બાળકોમાં વધુ હોય છે.
  • શીશીથી દૂધ અને પાવડરના ડબ્બા લેનાર બાળકો ઘરે બનાવેલ દાળ-શાક ઓછા ખાય છે. તેઓ રેસા(fiber) વાળો ખોરાક ઓછો લે છે. આથી તેઓમાં કબજીયાતનું પ્રમાણ સહેજ વધુ જોવા મળે છે.
  • શીશીથી દૂધ પીનાર બાળકોની ચાવીને ખાવાની ક્ષમતા નબળી રહે છે. દોઢ વર્ષના બાળકની માતા ઘણી વાર કહે કે મારું બાળક રોજનું દોઢ લીટર દૂધ પી શકે છે પરંતુ અડધી ભાખરી પણ તે ચાવીને ખાઈ શકતું નથી. તેને ઢીલો પોચો ખોરાક જ લેતા આવડે છે તેમની પોચો ખોરાક ગળવાની ક્ષમતા સારી હોય છે. તેની ચાવવાની ક્ષમતા ઘણા વર્ષો સુધી નબળી રહે છે.
  • બોટલથી દૂધ પીનાર બાળકોમાં રાહ જોવાની સહનશક્તિ કેળવાતી નથી. દૂધ એકધારુ અને તરત મળવાને કારણે તે ચમચીથી ખાતી વખતે રાહ જોઈ શકતું નથી. આ અસર ને કારણે તેનો સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો થાય છે. આ બાળક મોટું થઈને પણ ગુસ્સાવાળું, ચીડિયું, હિંસક, આક્રમક, આત્મવિશ્વાસના અભાવવાળું તેમજ લઘુતાગ્રંથી ધરાવતું થઇ શકે છે.
  • બોટલથી દૂધ પીનાર બાળકોમાં મોમાં ચાંદા, દાંતમાં સડો, પેશાબમાં રસીનું પ્રમાણ પણ વધુ રહે છે.
  • બાળક જ્યારે શીશીથી દૂધ પીવે ત્યારે હવા પણ તેના પેટમાં જાય છે (aerophegia). સગા ઘણી વાર ફરિયાદ કરે છે કે બાળકમાં ગેસ,ચૂંક અને પેટ ચઢી જવાનું પ્રમાણ વધુ છે. ધીરે ધીરે તે ચીઢયું અને વિવિધ ગ્રાઇપવોટરોનું શિકાર બને છે.
  • એક વખત દોઢથી બે વર્ષ સુધી શીશીથી બાળકે દૂધ પી લીધું પછી અમુક આડઅસરો તો સિગારેટ સ્મોકિંગની જેમ લાંબાગાળે બોટલ છોડી દીધા પછી પણ આવવાની જ છે. વધુ પડતી માંદગી અને વધુ હોસ્પિટલોના ધક્કાને લીધે બોટલથી દૂધ આપનાર માતાપિતા અને ડોકટરો વચ્ચે લાંબાગાળે દોસ્તી પણ થઇ જતી હોય છે.
  • અચકાઈને બોલતા અને અમુક ઉચ્ચારણ મોડા શીખતા ૭૦% બાળકોએ શીશીથી દૂધ પીધુ હતું તેમ વિવિધ અભ્યાસોના તારણો જણાવે છે.
  • બાળક જેટલું વધુ શીશીથી દૂધ પીવે તેટલું તે માતાનાં શરીરના, સ્તનના સ્પર્શ અને હુંફથી વંચિત રહે છે.
  • શીશીથી દૂધ પીનાર બાળકોમાં મોટા થયા બાદ અંગુઠા ચુસવાનું ( Thumb sucking ) પ્રમાણ પણ વધુ જોવા મળે છે.
  • પેશાબ પર નિયંત્રણ ના રહેવું અને રાત્રે પથારી પલાળવી જેવી તકલીફો પણ શીશીથી દૂધ પીનાર બાળકોમાં વધુ જોવા મળે છે. આ બધા તારણોને આધારે કહી શકાય કે શીશી એ બાળકનો એક પ્રકારનો શત્રુ છે અને શીશી આપીને માતા-પિતા એક ગુનાહિત કાર્ય કરે છે.
  • શીશીથી દૂધ પીનાર બાળકના સગાને શીશી સાફ કરવાની કડાકુટમાં અને બાળક માંદુ પડે તેટલે દવાખાને લઇ જવામાં સમય, શક્તિ અને પૈસાનો વધુ બગાડ થાય છે.
  • શીશી અને અશાંતિનું ઘરમાં સાથે જ આગમન થાય છે.

બોટલથી દૂધ કેવી રીતે છુટશે?

  • બાળકને શીશીની ચુંગાલમાંથી છોડાવવા કોઈ મુર્હુત કે સમયની રાહ ના જોતા. શીશી છોડાવવી છે એવા નિર્ણય સાથે જ શીશીને કચરાટોપલીમાં નાખી દેવી એ જ શીશી છોડાવવાની સચોટ પધ્ધતિ છે.
  • બોટલની આદત છોડાવવા માટે બાળકના માતા-પિતાએ માનસિક રીતે તૈયાર થઇ જવું જોઈએ કે બોટલ બંધ કર્યા બાદ બાળક ૫ થી ૭ દિવસ માટે ખુબ રડશે, અન્ય કોઈ ખોરાક ખાશે નહીં, ક્યારેક ૨૦૦ ગ્રામ થી ૩૦૦ ગ્રામ જેટલું વજન પણ ઘટશે તો પણ અમને વાંધો નથી. ગભરાવું નહીં, આ તકલીફો થોડા દિવસો માટેની જ હોય છે. થોડા દિવસમાં તેઓ અન્ય ખોરાક પણ લેવા માંડે છે, વજન પણ વધવા લાગે છે અને ચિડીયાપણું પણ ઘટી જાય છે.
  • બોટલની આદત ક્યારેય ધીમે ધીમે છુટશે નહીં. જો બાળક ત્રણ થી ચાર વખત બોટલ લેતું હોય તો પહેલા બે વખત, પછી એક વખત બોટલ આપીશું એ પધ્ધતિથી બોટલ છુટશે નહીં. જ્યારે પણ બોટલ નહીં આપવાનો નિર્ણય લો ત્યારે બોટલનો ઘરમાંથી જ નિકાલ કરો, બોટલને ફેકી દો. બોટલની હાજરી જ ઘરમાં નહીં હોય તો અડધી રાત્રે પણ બાળક રડશે તો પણ તમે તેને નહીં આપી શકો. બે-ત્રણ રાત બાળક થોડું રડીને પસાર કરશે પછી તે ખુદ બોટલ પસંદ નહીં કરે. બોટલ છોડાવનાર બાળકોના માતા-પિતાના અનુભવો કહે છે કે અમને ડર ઘણો હતો કે બોટલ છોડાવ્યા બાદ બાળક અમને ખુબ હેરાન કરશે પણ બંધ કર્યા બાદ માત્ર એક જ દિવસ તે થોડું રડ્યો હતો બીજા દિવસથી તો તે પણ બોટલને ભૂલી ગયો હતો. બાળક તો બોટલ છોડવા તૈયાર જ હોય છે. માતા-પિતાએ થોડી હિંમત કેળવવી પડે.
  • બાળક મોટું થશે એટલે બોટલ કે ડબ્બાની આદત છોડાવશું તેવું ના વિચારશો કારણકે જેમ બાળક મોટું થશે તેમ તે વધુ સમજણું થશે કે આ સાધનથી સરળતાથી અને મહેનત વિના મારું પેટ ભરાય છે. આથી તે વધુ તકલીફથી ( ચાવીને, કાપીને ) લઇ શકાય તેવા દાળ, ભાત, રોટલી ઓછા પસંદ કરશે.
  • બોટલ બંધ કરેલ બાળકોને થોડા દિવસ રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે. દૂધ તેઓ એક મહિના માટે સંપુર્ણ છોડી દે છે અથવા તેનો જથ્થો ખુબ જ ઘટી જાય છે.
  • એકવાર બોટલ છોડાવ્યા પછી શીશી ઘરમાં જ ના રાખવી. ઘરમાં હશે તો ક્યારેક પણ અપાઈ જશે અને ફરીથી ચાલુ થઇ જશે.
  • ત્રણ-ચાર વર્ષનું બાળક હોય તો તેના દેખતા જ બોટલને કચરાટોપલીમાં ફેંકી દેવી. થોડું રડીને પછી એ જાતે જ બોટલથી દૂધ પીવા નહીં મળે તે હકીકત સ્વીકારી લેશે.
  • ભારતની નાના બાળકો સાથે સંકળાયેલી સંસ્થાઓ જેમકે IAP ( ઇન્ડિયન એકેડેમી ઓફ પીડીઆટ્રીક્સ ) અને BFNI ( બ્રેસ્ટફીડીંગ નેટવર્ક ઓફ ઇન્ડિયા ) એ પણ શીશીથી દૂધ ના આપવાની ભલામણ કરી છે.

અન્ય જાણકારી

  • બાળકને શીશી, બોથી કે ચુસણી, મધની ટોટી અપાતી હોય તો તેને મોઢું ઓછુ ખોલીને ચૂસવાની આદત પડી જાય છે, તેથી બાળકને ક્યારેય આ વસ્તુઓ આપવી નહીં.
  • ફક્ત માતાના દૂધ પર રહેલા બાળકનું વજન શરૂઆતમાં સહેજ ધીમું વધે છે જેની તુલનામાં બહારનું દૂધ લેતું બાળક વધુ તંદુરસ્ત જણાય છે. પછીથી માતાનાં દૂધ પર રહેલ બાળકનો એકધારો અને રોગમુક્ત વિકાસ થાય છે. જ્યારે બોટલ કે પાવડરના ડબ્બા પર રહેલું બાળક પછીથી ખુબ વજનવાળું થઇ શકે છે અને વારંવાર માંદુ પણ પડે છે.
  • શીશીથી પાવડરનું દૂધ લેનાર બાળકોમાં પાવડરમાં રહેલા પ્રિઝરવેટીવ્સને કારણે વિવિધ એલર્જીઓનું પ્રમાણ વધુ રહે છે.
  • શિશુને દિવસમાં એક વખત બોટલથી દૂધ અપાય તો પણ તે નુકશાન કરે છે.
  • શીશીથી બાળક બે દિવસમાં દૂધ પિતા શીખશે. વાડકી ચમચીથી બાળક ૧૦ માં દિવસે દૂધ પિતા શીખશે. શરૂઆતમાં થોડું ઢોળાશે, પણ ઘરના સભ્યોના સાથ સહકાર અને માતા થોડી ધીરજ રાખશે તો ચોક્કસ બાળકને બોટલથી બચાવી શકાશે. વાડકી ચમચીથી દૂધ આપનાર માતા પોતાના બાળકની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકે છે.
  • અતિ ઓછા વજનવાળા બાળકોને અથવા તાળવામાં કાણું હોય તેવા બાળકોને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ બોટલથી દૂધ આપી શકાય. તાળવામાં કાણું હોય તેવા બાળકો માટે ખાસ લાંબી ટોટી વાળી નીપલ મળે છે.
૧૯૯૨માં ઇન્ડિયન એકેડેમી ઓફ પીડીઆટ્રીક્સની એક પોસ્ટર હરિફાઈમાં પ્રથમ નંબરે આવનાર પોસ્ટરનો સંદેશો આવો હતો. “ બાળકની સાચી માતા છ માસ સુધી ફક્ત ધાવણ આપે છે. અપર માતા વાડકી ચમચીથી બહારનું દૂધ આપે છે. પૂતના માતા જ દૂધ આપવા માટે બોટલનો ઉપયોગ કરે છે.”
( દિવ્યભાસ્કર : ૦૧/૦૯/૨૦૦૯ તથા ૧૬/૦૪/૨૦૧૩ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો