મુલાકાતી નંબર: 430,124

Ebook
21 કોમન માણસો સાથે સંબંધ નિભાવવાની કળા
ટીન એઈજમાં પારિવારીરિક ભાવના, કોઈ પણ સ્થિતિમાં અનુકુલન સાંધવું, મિત્રો બાંધવા અને મિત્રતા નિભાવવી તેમજ નાના માણસો સાથે સંબંધ રાખવાની કળાને જીવનમાં શીખવા માટેની જરૂરી પાયાની ચાર વસ્તુઓ ગણી શકાય. આમાં પ્રથમ ત્રણ વસ્તુઓ ટીન એઈજ બાળકો માતાપિતા સાથે રહીને જ શીખી લેતા હોય છે. પરંતુ ચોથી અને અગત્યની વસ્તુ નાના માણસો સાથે સંબંધ બાંધવાની, રાખવાની અને સાચવવાની કળા ઘણા માતાપિતા દ્વારા જ થોડી હાંસિયામાં ધકેલાઈ જાય છે. આપણી સાથે સંકળાયેલા ‘કોમન માણસો’ જેમકે દુધવાળા, છાપાવાળા, ઘરકામવાળા, રસોઇઆ, ડ્રાઈવર, ઇસ્ત્રીકામવાળા તેમજ વ્યવસાયિક કામ અર્થે મળતા લોકોની સેવા અને પ્રદાનનું અમૂલ્ય મૂલ્ય ટીન એઈજ બાળકોને સમજાવવું ખુબ જરૂરી છે. ગાંધીજીએ આદર્શ જીવન માટે સુચવેલા ૧૧ સિદ્ધાંતોમાંના મોટાભાગના સિદ્ધાંતો જેમણે આત્મસાત કરેલા છે એવા આ ‘કોમન પીપલ’ કોઈ પણ અહંકાર, અપેક્ષા વિના તળિયાનું સામાન્ય જીવન જીવે છે. તેમની સાથેનાં સંપર્ક, સહજીવનથી ટીન એઈજ બાળકો ‘જીવનમાં ધરતી પર રહી અને કોઈ પણ ધર્મ, જાતિ અને પ્રદેશની વ્યક્તિઓ સાથે માનવીય વ્યવહાર કરવો’ જેવા અમૂલ્ય પાઠો શીખી શકે છે. કોમન પીપલનો સંસર્ગ ટીન એઈજ બાળકોને પર્વતની તળેટીમાં રહેવાનું શીખવે છે. પર્વતની ટોચ પર પહોચવાનો રસ્તો પર્વતની તળેટીમાં થઈને જ પસાર થતો હોય છે એ જ્ઞાન પ્રેક્ટીકલી માતાપિતા કે કોઈ પણ સંસ્થા ના આપી શકે. કોમન માણસો પાસેથી બાળકોને એ શીખવા મળે છે કે જીવનના બધા જ કામ હંમેશા હાથપગ અને મગજથી જ નથી થતા પરતું હૃદયથી પણ થઇ શકે છે અને ક્યારેક ફક્ત હૃદયથી કરવા જરૂરી પણ હોય છે. ટીન એઈજ પૂરી થતા બાળકના ચરિત્ર અને સ્વભાવ ની જાણકારી તેના સામાન્ય માણસ સાથેના વર્તન દ્વારા જાણી શકાય છે. યાદ કરો ‘લાગે રહો મુન્નાભાઈ’ પિકચરમાં સંજય દત્ત પાસે જ્યારે એક છોકરી તેના જીવનસાથીની પસંદગી માટે સલાહ લે છે ત્યારે સંજય દત્તે છોકરીને ‘તેના જીવનસાથીના હોટલ ના વેઈટર સાથેના વર્તન પરથી’ નક્કી કરવા કહ્યું. ટીન એઈજ બાળકોને કોમન માણસો સાથે રહેવાની, તેમની સાથે સમય વિતાવવાની તક તેમના માતાપિતા દ્વારા જ મળતી હોય છે. ઘર સાથે, વ્યવસાય સાથે, મુસાફરી દરમ્યાન, ખરીદી વખતે તેમજ હોટલમાં જતાં માતાપિતાના કોમન માણસો સાથેના વ્યહવાર, વર્તનની ઊંડી અસર ટીન એઈજ બાળકો પર પડતી હોય છે. કોમન માણસો પણ એક જીવંત, પ્રેમાળ શ્રમજીવી છે. નાની નાની બાબતોમાં તેમને ધમકાવવાની, તુકારે બોલાવવાની, પગાર કાપવાની, નોકરીમાંથી કાઢી મુકવાની કે હડધૂત કરવાની માતાપિતાની વૃત્તિ જો બાળકો જોશે તો આગળ જતા તેઓ પણ એ જ રીતે વર્તતા શીખશે. તેમને સન્માનથી બોલાવતા, તેમની તબિયતની કાળજી રાખતા, તેમના બાળકોનાં ભણતરમાં રસ લેતા, તેમને જરૂરી પારિવારીરિક પ્રશ્નો પૂછતાં અને ક્યારેક તેમના સારા-નરસા પ્રસંગોએ તેમના ઘરે પહોંચી જઇ તેમને સુખદ આશ્ચર્ય આપવા જેવી બાબતો માતાપિતા આચરે તો બાળકો તેનાથી પણ કઈક વિશેષ કરી બતાવશે. આવું કરવાથી મગજ અને હ્રદયને ઘણા જ હકારાત્મક સંદેશા મળે છે. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા તેમની લશ્કરી મુલાકાતો દરમ્યાન સામાન્ય સૈનિકો સાથે જ ભોજન લેતા, રિતિક રોશનને ‘કહોના પ્યાર હૈ’નાં શુટીંગ વખતે સ્પોટબોય સાથે રહેવું અને જમવું જેવી વ્યવસ્થા તેના પિતા રાકેશ રોશને આવું જ કઇક વિચારીને કરી હશે. પૃથ્વીરાજ કપૂરે તો તેના ત્રણે દીકરાઓને કોમન પીપલ સાથે રહેવાનું અદભુત શિક્ષણ આપ્યું હતું, જે રાજકપૂરના પિક્ચરોમાં પણ અનુભવી શકાતું હતું. અમદાવાદ રેલ્વે સ્ટેશનની બહાર બેસતા મોચી સાથે અંગંત સંબંધ રાખનાર રાજકપૂરનું ઉદાહરણ ટીન એઈજ બાળકોએ લીધું હતું. તેના પિક્ચરોનો સંદેશ અને તેના આત્માનો અવાજ કોમન માણસો માટે જ હતો તેમ કહી શકાય. કોમન માણસો સાથે સંપૂર્ણ રહેતા આવડે તે ટીન એઈજ બાળકોને શરૂઆતમાં જણાવેલી બાકીની ત્રણ વસ્તુઓ આપોઆપ આવડી જતી હોય છે. જેને કારણે તેઓનાં કૌટુંબિક અને વ્યહવારિક જીવનમાં સફળતાનાં દ્વાર આપોઆપ ખુલી જતા હોય છે. ( દિવ્ય ભાસ્કર ૧૧ નવેમ્બર ૨૦૧૫)  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો