મુલાકાતી નંબર: 430,102

Ebook
વર્ષાઋતુમાં બાળક બીમાર ના પડે તે માટે શું ધ્યાન રાખવું?
વર્ષારાણીના આગમનને વધાવવું, વરસાદમાં ભીંજાવું અને દોડાદોડી કરવી તે બાળકોથી માંડીને વડીલો માટેનો આનંદનો અવસર હોય છે. દુષિત પાણી, ખોરાક અને હવા મારફતે વર્ષાઋતુમાં જ વાયરસ, બેક્ટેરિયા, મેલેરિયા, ફૂગ અને એલર્જીજન્ય રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. અપૂરતો સૂર્યપ્રકાશ, લાંબો સમય ભેજગ્રસ્ત હવા, ઘરના બારી બારણાં લાંબો સમય બંધ રાખવા પડે એવી પરિસ્થિતિમાં ઇન્ફ્લ્યુંએન્ઝા વાયરસ, સ્ટ્રેપટોકોકલ બેક્ટેરિયા અને ફૂગજન્ય વિષાણુંને વિકસવા શ્રેષ્ઠ વાતાવરણ મળે છે જેને લીધે શરદી, ખાંસી, આંખ-નાકમાંથી પાણી નીકળવું, આંખ આવવી, એલર્જી, દમ, ચામડી પર ફંગસનો ચેપ, નાના મોટા ગુમડા, મોમાં ચાંદા જેવા રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. દુષિત પાણી તથા ખોરાકથી ઝાડા-ઉલટી, કમળો, તેમજ ટાયફોઇડનું પ્રમાણ વધી જાય છે. ઘરના કમ્પાઉન્ડમાં, કુંડામાં અને છત પર ભરાયેલા પાણીનો ત્રણ દિવસમાં નિકાલ થવો જોઈએ નહીં તો તે ડેન્ગ્યું તેમજ મેલેરિયાનું ઉદભવસ્થાન બની રહે છે. ગામડામાં, જંગલોમાં અને ખેતરોમાં વિવિધ અળસિયા અને સર્પજીવો જમીનની બહાર નીકળી આવે છે જેને લીધે સર્પદંશના કિસ્સા ખુબ વધી જાય છે. વધુ વરસાદના સમયે બાળકો બહાર રમવા જઈ શકતા નથી. યુવાનો અને વડીલો પોતાના કાર્યસ્થળે જઈ શકતા નથી. સતત ઘરમાં જ રહેવાને લીધે સ્વભાવ પણ થોડો ચીડિયો થઈ જાય છે અને ક્યારેક વધુ પડતું ખવાઈ પણ જાય છે. થોડી કાળજી લેવાથી આ પરિસ્થિતિમાંથી બચી શકાય છે. • વાયરસ, બેક્ટેરિયા અને ફૂગજન્ય રોગોથી બચવા માટે : ઘરમાં બે થી ત્રણ વખત પોતા મારવા, સરખું ઝાપટવું અને દરેક ખૂણાની વ્યવસ્થિત સફાઈ કરવી. ઘરના દરેક સભ્યોએ ઉકાળેલું, ગાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી જ વાપરવું.પાણી લેતા ડોયાનો ઉપયોગ અવશ્ય કરવો. ઘરનો જ બનાવેલો તાજો અને ઢાંકેલો ખોરાક જ લેવો. સૂર્યપ્રકાશ નીકળે ત્યારે બારી-બારણાં ખોલી નાખવા. હાથરૂમાલનો વ્યવસ્થિત ઉપયોગ કરવો, જમતા પહેલા અને ટોયલેટ બાદ હાથ બરાબર ધોવા. ખુબ નાના બાળકો અને વડીલોને થિયેટર, મંદિર, મોલ કે હોલ જેવી બંધ અને ગીચ જગ્યાએ લઈ જવાનું ટાળવું. કપડા સારી રીતે ધોઈ સૂકવવા, ભીના તેમજ ભેજવાળા કપડા માટે જરૂર પડે તો ઈસ્ત્રીનો પણ ઉપયોગ કરવો. બહુ ભીના અને પરસેવાવાળા કપડા લાંબો સમય પહેરવા નહીં. • દુષિત પાણી તથા ખોરાકથી થતા રોગોથી બચવા માટે : ઝાડા, ઉલટી, કમળો તેમજ ટાયફોઇડ દુષિત પાણી અને ખોરાકથી થતા રોગો છે. તેનાથી બચવા માટે ઘરનો તાજો રાંધેલો, ઢાંકેલો ખોરાક જ લેવો, ફળો વ્યવસ્થિત ધોવા, ખુબ પાકેલા અને લાંબા સમયથી ખુલ્લા ફળો નાં ખાવા, નખ વ્યવસ્થિત કાપવા, ઘરના દરેક સભ્યોએ જમતા પહેલા હાથ વ્યવસ્થિત ધોવા, તૈયાર દુધની બનાવટો કે જે લાંબો સમય ફ્રીઝરમાં રાખેલી હોય જેમ કે શ્રીખંડ, મઠો, કેક, ચીઝ નો ઉપયોગ ટાળવો જેવી સાવચેતી રાખવી. • મચ્છરજન્ય રોગોથી બચવા માટે : મેલેરિયા કે ડેન્ગ્યુંથી બચવા ઘરમાં કે ઘરની આજુબાજુ ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરાવી તેના પર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો. બારી પર મચ્છરદાની અથવા જાળી(નેટ)નો ઉપયોગ કરવો. મચ્છર મારવાની દવા, પ્રવાહી કે ટ્યુબો ૧૦૦% જંતુમુક્ત કામ કરતી નથી. તેનો વધુ પ્રમાણમાં ઉપયોગથી આડઅસર થવાની સંભાવના વધુ રહે છે. બાળકોને સ્કુલે મોકલતા તેમના હાથ-પગ ઢંકાય તે રીતે સુતરાવ કપડાનો ઉપયોગ કરવો. ઘરમાં સ્પ્રે, અત્તર, અગરબત્તી અને ધૂમ્રપાન કરવું નહીં. વર્ષાઋતુમાં પોલીશકામ, સુથારીકામ અને રંગકામ દમ અને એલર્જીજન્ય રોગોની શક્યતા વધારે છે. તે કામ ટાળવું. આમ થોડી સાવચેતી રાખવાથી વર્ષાઋતુને માણી પણ શકાશે અને તેના સાથે આવતી તકલીફોથી બચી પણ શકાશે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો