રેઈનબો ફિટનેસ સેન્ટર શહેરમાં ખુબ જાણીતું હતું. આરોગ્યને સભાન રહેતા યુવાનથી શરુ કરીને લાકડીના ટેકે ચાલતા વડીલો પણ તેના સભ્યો હતા. પ્રભાવતી બહેન પરીખ ઉમરમાં તો આઠમો દાયકો વટાવી ચુકેલા પણ તેમના ચહેરા પરના તેજ અને પ્રભાવી વ્યક્તિત્વથી ફિટનેસ સેન્ટરમાં આવતા યુવાન છોકરા છોકરીઓને પણ તેમની સાથે વાતો કરવી ગમતી. કહે છે ને કે, “યુવાનો માત્ર જીવનના નિયમો જ જાણતા હોય છે પણ અનુભવી વડીલો અપવાદો પણ જાણતા હોય છે.” ૮૨ વર્ષની ઉંમરે પણ ફિટનેસ સેન્ટરમાં આવવાની તેમની નિયમિતતા અને હળવી કસરતો કરવાનો તેમનો ઉત્સાહ જોઇને યુવાનોને પણ ફિટનેસ પ્રત્યે નિષ્ઠા અને નિયમિતતા દાખવવાનો સંદેશ મળતો હતો. આવતી જતી દરેક વ્યક્તિ સામે તેમનું હળવું સ્મિત તે વ્યક્તિના દિવસની શરૂઆત ઉર્જાસભર બનાવી દેતી. પોતાની હાજરી કોઈને નડતરરૂપ નાં થાય તેનું પ્રભાવતીબહેન ખાસ ધ્યાન રાખતા. ૨૩ વર્ષનો નવો આવેલ પંકજ નામનો ફિઝીઓથેરાપિસ્ટ તેમની વિશેષ કાળજી રાખતો. ફિટનેસ સેન્ટરમાં તેમનો સમય પૂરો થાય પછી પ્રભાવતી બહેનના બુટની દોરી બાંધવી તેમજ તેમનો હાથ પકડી લિફ્ટ સુધી લઇ જવાનું કામ પંકજ અચૂક કરતો. પ્રભાવતી બહેન અને પંકજ પણ એકબીજાના મિત્રો બની ગયા હતા. ફિટનેસ સેન્ટરમાં આવતા જ પ્રભાવતી બહેનના ‘ગુડ મોર્નિંગ’ શબ્દથી પંકજ એક હકારાત્મક લાગણી અનુભવતો. કોઈ દિવસ બે માંથી કોઈ એક નાં આવ્યું હોય તો બીજા દિવસે નહીં આવવાનું કારણ તેઓ અચૂક એકબીજાને પૂછતા.
પંકજ પૂરી નિષ્ઠાથી ક્લાસમાં બધાને કસરતના સ્ટેપ્સ શીખવતો અને ટીપ્સ પણ આપતો. પણ જ્યારે તે જોતો કે પ્રભાવતી બહેનનો સમય પૂરો થઇ ગયો છે અને તેઓ જવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે પંકજ પણ પોતાનું કામ પડતું મુકીને તે પ્રભાવતી બહેનના બુટની દોરી બાંધવા અચૂક આવી જતો. ખુબ જ ભાવથી તે પ્રભાવતી બહેનના બુટની દોરી બાંધી આપતો. કમરેથી વળવામાં થોડી તકલીફ પડે આથી બુટની દોરી બાંધવી તે કામ પ્રભાવતી બહેન માટે અઘરું હતું. પણ પંકજે ક્યારેય પ્રભાવતી બહેનને આ કામની તકલીફ પડવા નાં દીધી. એકવાર એક ભાઈએ પંકજને હળવી ટકોર પણ કરી કે પ્રભાવતી બહેનના બુટની દોરી બાંધવામાં તું આટલો બધો રસ કેમ બતાવે છે? પંકજે બહુ સુંદર જવાબ આપ્યો. ‘પ્રભાવતી બહેન મારા દાદીતુલ્ય છે. મને તો દાદી કે નાની નથી પણ મને તેમને મળીને દાદીનો પ્રેમ કેટલી શાતા આપે છે તે અનુભવવા મળ્યું છે. તેમના બુટની દોરી બાંધીને તેમના ચરણસ્પર્શ કરવાનું અહોભાગ્ય હું મેળવું છું.” પંકજની આટલી નાની વાત આપણને કેટલો બધો સંદેશ આપી જાય છે. આપણા ઘરમાં વડીલોની હાજરી હોવા છતાં આપણે તેમને પુરતો સમય નથી આપતા. આપણા વડીલો માટે કરેલું કોઈ પણ પ્રકારનું નાનુંમોટું કામ આપણને નીસ્વાર્થ ભાવના શીખવે છે. તેમના માટે કોઈ પણ પ્રકારના કામની તક આપણને મળે તો તે તક ઝડપી લેવી જોઈએ. તેમનું સાનિધ્ય આપણામાં સદભાવનાના ગુણોનું સિંચન કરે છે. જાણીતા લેખક ગુણવંત શાહે તેમના એક લેખમાં કહ્યું હતું કે, “ઘરમાં કોઈ વડીલની હાજરી હોય તો તેમને મળવાનું નાં હોય પણ તેમના દર્શન કરવાનો ભાવ રાખવો જોઈએ.”
લેખકTejas Chokshi
on October 8, 2016 at 3:18 am -
Excellent
લેખકDr.Ashish Chokshi
on October 8, 2016 at 3:57 am -
thanks tejas