ટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને પ્રેમ કરો
બાળકની ટીનએઈજ શરુ થાય એટલે તેના પાસેથી માતાપિતાની અપેક્ષા વધી જાય. તેમાં કશું ખોટું પણ નથી. ખાસ કરીને તેની પાસેથી શૈક્ષણિક સફળતાની અપેક્ષા વધુ રખાય. સામજિક જવાબદારીઓ અને ઘરના કામોની પણ નાનીમોટી જવાબદારીઓની અપેક્ષા માતાપિતા રાખતા હોય છે. ખાસ કરીને તેની શૈક્ષણિક સફળતાની અપેક્ષા એ દરેક ઘરનો સામાન્ય મુદ્દો છે. તેની પાછળ માતાપિતા માટે સામાજિક અપેક્ષાનો પણ ભાર રહેતો હોય છે. કુટુંબના અને અન્ય મિત્રવર્તુળમાં કોઈ પણ લોકો જ્યારે પણ મળે ત્યારે માતાપિતાને એક જ પ્રશ્ન કરે છે. તમારું બાળક હાલ શું કરે છે? તેનો આગળ શું વિચાર છે? આને લીધે માતાપિતા માટે પણ બાળકની શૈક્ષિણક સફળતા એ તેમની સામાજિક સફળતાનો મુદ્દો બની જાય છે.
ધીરે ધીરે બાળકને પણ આ અપેક્ષાની જાણ કરવામાં આવે છે. તેમાં જાણે-અજાણે માતાપિતાથી અન્ય સફળ બાળકોના ઉદાહરણો, પોતે ખર્ચેલા નાણા વગેરેની વાત નીકળી જાય છે. આ વસ્તુથી બાળક એમ સમજે છે કે માતાપિતાને મારા કરતા મારી કારકિર્દીમાં વધુ રસ છે. તે પણ એક દબાણ હેઠળ રહે છે. માતાપિતા પણ બાળકનું રીઝલ્ટ સારું આવે તો તેની સાથે બરાબર વાત કરે અને રીઝલ્ટ ધાર્યું નાં આવે તો ઘરમાં અશાંતિ અને મૌન છવાઈ જાય તેવું વર્તન કરે છે. માતાપિતાએ બાળકના વ્યક્તિત્વને પ્રેમ કરવો જોઈએ. તે જેવો છે અને માર્ક્સ લાવવાની તેની જે ક્ષમતા છે તે સ્વીકારીને તેના વ્યક્તિત્વને ઓળખવું જોઈએ. આનો અર્થ એ પણ નથી કે બાળકને કશું કહેવું જ નહીં.પણ તેની જે ક્ષમતા હોય તે પ્રમાણે તેને પ્રોત્સાહન આપવું. થોડું ઓછુ રીઝલ્ટ આવ્યું તો પણ સ્વીકારવું. ઓછા રીઝલ્ટ આવ્યાના કે તેના શૈક્ષણિક નિષ્ફળતાના સમયે જ તેની ભૂતકાળની અન્ય નિષ્ફળતા કે તેની ભૂલો યાદ કરાવવાની વર્તણુક નાં કરવી જોઈએ. તેની કોઈ નિષ્ફળતાના સમયે જ જો તેની સાથે બેસી નિખાલસ ચર્ચા કરવામાં આવે કે હજુ બીજું સારું શું થઇ શકે, બીજી શું શક્યતાઓ છે? અથવા માતાપિતા પોતે હજુ શું મદદ કરી શકે તેવી તેની સાથે બેસી શાંતિથી વાત કરવામાં આવે તો બની શકે તે બાળક માટે ટર્નિંગ પોઈન્ટ પણ હોય. આવો સમય બાળકને કહી સંભળાવવા કે તેની નિષ્ફળતાની વાતોની યાદ કરવાનો નહીં પણ તેની વધુ નજીક જવાની તક સમાન હોય છે.
જેમ આપણી નિષ્ફળતા વખતે આપણે ઈચ્છીએ કે આપણો શ્રેષ્ઠ મિત્ર બે શબ્દ સાંત્વનાના પણ કહે તેમ બાળક પણ માતાપિતા પાસે આ સમયે થોડી સાંત્વના થોડો પ્રેમ ઈચ્છે છે. જે તેને મળે તો તેની આગળની કારકિર્દી માટે તે વધુ સાવચેત થશે અને તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરશે. એક ખુબ જ જાણીતા અભિનેતાએ જ્યારે તેના અભિનિત પિક્ચર સળંગ નિષ્ફળ જવા લાગ્યા ત્યારે તેના પિતા પાસે હતાશ થઇ બેઠો હતો. તે વખતે તેના પિતાએ તેને એક વાક્ય કહ્યું, ‘મને લાગે છે કે તે તારી ક્ષમતાનો હજુ પૂરેપૂરો ઉપયોગ જ કર્યો નથી.’ આ વાક્યે તે અભિનેતામાં જાણે પ્રાણ પૂર્યા. હતાશા ખંખેરી પાછુ કામ શરુ કર્યું અને પછી તેઓ ખુબ સફળ થયા. ટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને સમજી તેમની સાથે સંઘર્ષ નહીં પણ સમાધાન કરવામાં જ તેમના ભવિષ્યની સફળતા છે
પ્રતિશાદ આપો