યશ ૧૨ વર્ષનું ખુબ ચંચળ બાળક. દાદા-દાદી અને કાકા-કાકી સાથે સંયુક્ત કુટુંબમાં તે ખુબ લાડકોડથી મોટો થયેલ. તેને નાનપણથી જ અંગુઠો ચૂસવાની આદત પડી ગઈ હતી. અંગુઠો ચુસવાનું તેને પણ ગમતું ન હતું. પણ યશ કહેતો મારો અંગુઠો ક્યારે અજાણતા જ મારા મોઢામાં જતો રહે છે તેનો મને જ ખ્યાલ ન રહેતો. અંગુઠો ક્યારેક જાહેર જગ્યાએ કે ઘણા બધા જ વ્યક્તિઓની હાજરીમાં મારાથી મારા મોઢામાં જતો રહે ત્યારે મારી જ સ્થિતિ હાસ્યાસ્પદ થઇ જાય એ મને જ નથી ગમતું, હું પણ શું કરું.? તબીબી ભાષામાં થોડા હાયપરએક્ટિવિટીનાં લક્ષણો તેનામાં જોઈ શકાતા હતા.
તેના માતા-પિતાએ બધા જ પ્રકારના પ્રયત્નો કર્યા હતા. બાળકોના માનસિક રોગોના નિષ્ણાતને પણ બતાવી ચુક્યા હતા. પ્રેમથી સમજાવવું, લાલચ આપવી વગેરે પ્રયત્નોથી તો જાણે તે ટેવાઈ ગયો હતો. આ એક પ્રકારની માનસિક આદત હોવાથી આ તકલીફની કોઈજ ૧૦૦% અકસીર મેડીકલ સારવાર હોતી નથી. યશના મમ્મીપપ્પાએ અમુક આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર પણ કરી જોઈ હતી. કોઈકે સલાહ આપી હતી કે તેને વ્યસ્ત રાખો. આથી યશને ટેનિસ એકેડેમીમાં પણ મુક્યો હતો. યશ ટેનિસમાં ખુબ સુંદર રમતો થઇ ગયો પણ ઘરે આવીને જ્યારે પણ તે થોડો સમય ફ્રી પડતો કે તરત તે અંગુઠો ચૂસવા લાગતો. તેના શાળાનાં અને સોસાયટીના મિત્રો તેને ‘ચુસણીયો આવ્યો’ કહીને ચીડવતા પણ ખરા. હવે યશના ઘરના સભ્યોની ધીરજ ખૂટી ગઈ હતી. આ તકલીફના કારણે વેકેશનમાં કોઈના ઘરે કે ટ્રેકિંગમાં તેને એકલો મોકલતા તેનાં માતા-પિતા અચકાતા હતા. યશને પોતાને પણ તેની આ આદતમાંથી છુટકારો મેળવવો હતો.
એક દિવસ જાણે ચમત્કાર થયો અને યશની આદત માત્ર ત્રણ દિવસમાં જ છુટી ગઈ. એવું બન્યું કે રાત્રે જમીને ઘરના બધા સભ્યો મુખ્ય રૂમમાં સાથે બેસે ત્યારે દાદીએ યશને ચીડવવા માટે તેઓ પોતે પણ અંગુઠો ચૂસવા લાગ્યા અને બોલ્યા કે, ‘અંગુઠો ચુસતો યશ આવો દેખાય છે.’ પછી તેનાં કાકાએ અને ત્યાર બાદ તેના પપ્પાએ પણ આ વસ્તુનું અનુકરણ કરીને યશ કેવો દેખાય છે તે કરીને બતાવ્યું. યશના શરમિંદા થવાની ચરમસીમા પહોંચી જ્યારે તેનાં કાકાની ચાર વર્ષની દીકરીએ પણ હસતા હસતા યશ ભૈયા કેવા દેખાય છે તે અનુકરણ કરી બતાવ્યું. યશ બધાની વચ્ચે ખુબ શરમિંદો બન્યો. તે બધાની વચ્ચે પોતાની કફોડી અને હાસ્યાસ્પદ સ્થિતિ સહન ના કરી શક્યો. તેનો પહેલો પ્રતિભાવ તો તે ખુબ ગુસ્સે થઇ ગયો અને બધાને મારવા લાગ્યો પછી તે બહુ રડ્યો. બીજા દિવસે હવે તે અંદરથી ખુબ દુઃખી હતો તેને ખુબ તકલીફ પડી બધાની વચ્ચે તેણે મુઠ્ઠી દબાવી રાખી પણ અંગુઠો મોઢામાં ના જ નાખ્યો. ત્રીજા દિવસે અંગુઠો મોઢામાં ના નાખવો એટલું તકલીફદાયક ના લાગ્યું. હવે તેને પોતાની જાત પર નિયંત્રણ આવી ગયું હતું. શિવ ખેરાની એક બુકમાં પણ કોઈ આવો જ સંદેશો હતો.
‘જીતનારા અલગ કામ નથી કરતાં પણ અલગ પધ્ધતિથી કામ કરે છે’.
પ્રતિશાદ આપો