પ્રાચી અને દિશા બંને સહેલી છે. નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. બંને સહેલીઓ શાળામાં સાથેને સાથે રહે, ઉપરાંત ફરવાની પણ શોખીન. ટીનએઈજ બાળકો માટે વિવિધ કેમ્પનું આયોજન કરતી શહેરની એક સંસ્થાએ એક દિવસના ‘નેચર્સ કેમ્પ’નું આયોજન કર્યું હતું જેમાં બંને સહેલીઓએ પોતાનું નામ નોધાવ્યું હતું. બંને સહેલીઓએ ‘નેચર્સ કેમ્પ’માં જવા માટે અને ત્યાં જઈ શું કરીશું તેનો પ્લાન બનાવી દીધો હતો. સ્કુલમાંથી અચાનક યુનિટ પરીક્ષાની તારીખ આવી જે ‘નેચર્સ કેમ્પ’ના બીજા જ દિવસેથી શરૂ થતી હતી.
હવે બંને સહેલીઓ મુઝવણમાં મુકાઈ ગઈ. એક બાજુ ઘણા દિવસોથી રાહ જોતા હતા તે કેમ્પ હતો તો બીજી બાજુ ખુબ જ અગત્યની પરીક્ષા પણ હતી. કેમ્પ ભલે એક જ દિવસનો હતો પણ પરીક્ષાના આગલા દિવસે જ હોવાથી તેમાં જવાનું પણ શક્ય ન હતું. બંને સહેલીઓએ ઘરમાં વાત જણાવી. પ્રાચીના પેરેન્ટ્સે તો જવાની ના જ પાડી દીધી. ઉપરાંત સલાહ પણ આપી કે બીજા જ દિવસે પરીક્ષા શરુ થતી હોય તો કેમ્પમાં જવાનો વિચાર પણ કેવી રીતે આવે. દિશાના પેરેન્ટ્સે તેને શાંતિથી સાંભળી અને તેને જણાવ્યું કે તે હવે નવમાં ધોરણમાં ભણતી પુખ્ત વ્યક્તિ છે. પરીક્ષા અને કેમ્પ બંને વસ્તુની પોતાના વિકાસમાં કેટલી અગત્યતા છે તે પોતે જાતે વિચારવું જોઈએ. તેણે જાતે શ્રેષ્ઠ નિર્ણય લેવો જોઈએ અને તે જે પણ નિર્ણય લેશે એમાં અમે સહકાર આપીશું. દિશાએ કેમ્પમાં જવાનો નિર્ણય યથાવત રાખ્યો. બાકી રહેલા દિવસોમાં તે પ્રમાણે વાંચવાનું પણ આયોજન કરી લીધું. તેણે તેના પેરેન્ટ્સને જણાવ્યું કે કેમ્પ જવાના દિવસ સુધી મને મારી પરીક્ષાની તૈયારી માટે સંતોષ નહીં હોય તો હું જવાનું મોકૂફ રાખીશ.
દિશાના માતાપિતા દિશાની નિર્ણયશક્તિ પર ખુશ હતા. દિશાએ પ્રાચીના માતાપિતાને સમજાવવાનો પ્રયત્ન પણ કરી જોયો હતો પણ તે વ્યર્થ નીવડ્યો. પ્રાચીએ કેમ્પમાં ગયા વિના પરીક્ષા આપી અને A1 ગ્રેડ મેળવ્યો. દિશા કેમ્પમાં ગઈ આથી આગલા દિવસે સારું રિવિઝન થઇ શક્યું ન હતું આથી તેનો A2 ગ્રેડ આવ્યો. ભલે દિશાનો A2 ગ્રેડ આવ્યો પણ તેના માતાપિતાએ દીકરીને નિર્ણય લેવા સ્વતંત્રતા આપી ખુબ ઉમદા કાર્ય કર્યું હતું. ટીનએઈજ બાળકોને તેમના માટે જાતે નિર્ણયો લેવા દઈ માતાપિતા તેમની વધુ નજીક રહી શકે છે અને તેમના શ્રેષ્ઠ મિત્રો પણ બની શકે છે. ઘણી વાર માતાપિતાને એવંા લાગે કે એમને સાચાખોટાની શું ખબર પડવાની, તેઓ ભૂલ કરે તો માર્ગદર્શન તો આપવું જ પડે ને.
હા..માતાપિતા તેમની રીતે ચોક્કસ સાચા છે કે સલાહ અપાય પણ ટીનએઈજ બાળક પછી સલાહની વિરુદ્ધ નિર્ણય લે તો પણ ખુશીથી સ્વીકારવો જોઈએ. જેમ દિશાએ કહેલું કે ‘તૈયારી બરાબર નહીં થાય તો હું નહીં જાઉં’. તે રીતે આ ઉમર થી જ પોતાના નિર્ણયો બાળકો આત્મવિશ્વાસથી લઇ શકશે. જરૂર હોય ત્યાં માતાપિતાની સલાહ સામેથી લેશે. અને નિર્ણય ખોટો હશે તો તેમાંથી જીવનભર મદદરૂપ થાય તેવી શીખ મેળવશે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ‘ઉધ્ધારે ધત્મનાત્માનમ’ અર્થાત માણસે પોતાનો ઉધ્ધાર પોતાની જાતે જ કરવાનો છે એવો સંદેશો આપ્યો હતો.
લેખકવિલાસકુમાર કે. પુવાર
on June 13, 2017 at 8:37 pm -
ટીનએજ બાળક ની સમજ આપણા કરતાં વધારે હોય છે. દરેકની ફૂટપટ્ટી એક ના રખાય કારણકે દરેક ના સંજોગો જુદા જુદા હોય છે, સમય જુદો જુદો હોય છે અને સમજ પણ જુદી જુદી હોય છે. આમ બાળકને બાળકની રીતે જોઈએ.
લેખકDr.Ashish Chokshi
on June 14, 2017 at 6:17 pm -
સાચી વાત છે વિલાસભાઈ.