“ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકુળ પવન.”
૧૯૭૯માં એડવાન્સ થિયેટર અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં હતું. (હાલ બંધ થઈ ગયું છે) ત્યાં પ્રખ્યાત ગુજરાતી પિક્ચર “કાશીનો દીકરો” નો પ્રીમિયર શો હતો. પિકચરના દિગ્દર્શક કાંતિ મડિયા હતા. કાર્યકારી નિર્માતા દિગંત ઓઝા હતા. આ પિક્ચરનું એક ગીત હતું, “ગોરમાં ને પાંચ આંગળીએ પૂજ્યા કે નાગલા ઓછા પડ્યા રે લોલ.”
આ પ્રીમિયર શો માં એક વ્યક્તિ ટિકિટ ખરીદીને પિક્ચર જોવા બેઠી હતી. પિક્ચર પૂરું થયા બાદ જાણીતા શાયર શેખાદમ આબુવાલાનું આ વ્યક્તિ તરફ ધ્યાન ગયું. તેણે નિર્માતાઓનું ધ્યાન દોર્યું. નિર્માતાએ એ વ્યક્તિની ક્ષમા માંગી. એ વ્યક્તિએ ખુબ જ સાહજિકતાથી, ’એવું તો ચાલે’, ‘આવું બને’, ‘કોઈ વાંધો નહીં’. એવા શબ્દો વાપર્યા. આવા શાંત, નિખાલસ અને સહજ વ્યક્તિ હતા ઉપરોક્ત શિર્ષક પંક્તિ અને પિક્ચરના ગીતના લેખક શ્રી રમેશ પારેખ.
ફિલ્મમાં જે વ્યક્તિ રચિત ગીત હોય અને એ વ્યક્તિને જ પ્રીમિયર શો ના પાસ અને આમંત્રણ આપવાનું ભુલાઈ જાય છતાં એ ઘટના ખુબ હળવાશથી રમેશ પારેખ જેવા કવિ જ લઈ શકે. પોતાના જ સર્જનમાં પોતાની અવગણના થાય તે કોઈ ઋષિપુરુષ જ સહન કરી શકે. આ ઘટના અને પ્રસંગ પિક્ચરના સહાયક નિર્માતા દિગંત ઓઝાએ તેમના પુસ્તક ‘ગુજરાતી મલકના માનવી’માં લખેલો છે. ગુજરાતી કાવ્યોના ઘરેણા સમાન રમેશ પારેખને તેમણે, “માનવતા, ઉદારતા, દિલાવરી, સ્વસ્થતા અને સૌમ્યતાનો ભંડાર” કહ્યા.
“સાંકળ હલે, બળે છે દીવો, ખાલી માર્ગ છે,
ચાલ્યું ગયું છે કોણ કે આખું નગર ચુપ છે.
ખોટ અને ખાલીપો અમને ખોતરે.” કવિ રમેશ પારેખ.
છેલ્લો બોલ : રમેશ પારેખની દીકરી મેહા એ તેમના પિતા માટે ‘થેંક યુ ડેડી’ પુસ્તકમાં લખ્યું હતું. “બાપ–દીકરીનો સંબંધ ગોળના ગાંગડાથી, સાકરના કટકાથી અને મધથી વધારે મીઠો હોય છે.”
લેખનો અંત તેમની જ એક રચનાથી,
“બની જાઉં છું લોહી લુહાણ હું, સ્મૃતિને ય કેવી અણી હોય છે.”
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૪૬ – ૧૨/૦૭/૨૦૨૦
